આજનો શિક્ષક આજનો વિદ્યાર્થી

આજનો શિક્ષક આજનો વિદ્યાર્થી

        વર્તમાન સમયમાં શિક્ષણ ક્ષેત્રે જોઇએ છીએ તો એવું જણાય છે કે અમુક શિક્ષકોની યુવાની લાંબી ચાલતી નથી અને ઝડપથી વૃધ્ધ થઇ જાય છે. નવુ કંઇ અપનાવવાનું જ નહી. એ અમને નો આવડે, કે હવે એ શીખીને આપણે શું કામનુ. આ શિક્ષકો નવા શિક્ષકો ( મનથી યુવા  શિક્ષકો) ને કીધા કરે કે હવે આ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ ની અમારે શું જરૂર ઇ અમારે હવે શીખવાની જરૂર નથી.     
        'યુવાની એટલે જેને એક મહીનામાં નવો વિચાર ન આવતો હોય તે માણસ યુવાન નથી' નવુ શીખવાનું આવે ત્યારે કાંઇ ધોળા વાળ થઇ  ગયા હોય તેને શીખવાનું જ નહી એવું નથી. યૌવન એટલે જ પરિવર્તન જો આવુ નહી વિચારો તો તમને ધક્કા મારીને સીધા જ વૃધ્ધ માની લેવામાં આવશે. કે હવે તમે અહીથી જાવ અને અમારા માટે જગ્યા કરો.
        આર્મીમાં એક સોલ્જર ભરતી થવા આવ્યો અને તેમને ફોર્મમાં વિગતો ભરવાનું કહેવામાં આવ્યું. અને તેનુ ફોર્મ જોઇને ભરતી કરનાર અધિકારીએ કહ્યું કે ડોક્યુમેન્ટ પ્રમાણે તમારી ઉમર ૨૩ વર્ષ છે. તો તમે કેમ આમા ૨૨ વર્ષ દર્શાવ્યા છે? કેમ ઉમર ઓછી દેખાડી છે? તો પહેલા ભરતી થવા આવેલ યુવાને કહ્યું કે ગયા વર્ષે હું ખુબ બીમાર પડેલો અકસ્માત થવાને લીધે આખુ વર્ષ ઘરમા પથારીમાંજ પસાર કરેલ એટલે તે સમયને થોડો મારી ઉંમરમાં દશાવી શકાય એટલે મે મારી ઉંમર ૨૨ વર્ષ દશાવેલ છે.
        વિદ્યાથી એટલે ડાહ્યો-ડમરો, શાંતિથી સાંભળતો હોય, શિક્ષક કહે એટલુ જ કરતો હોય તેવી કલ્પના કરવી એ આજના વિદ્યાર્થી માટે યોગ્ય ન ગણાય. આજનો વિદ્યાર્થી તો ચંચળ છે તરવરાટવાળો છે. જે વિદ્યાર્થી શાળામાં કશી ભુલ જ ન કરે એવિદ્યાર્થી જ શી રીતે કહેવાય? જેણે કશો પ્રયત્ન જ નથી કર્યો એ ભુલ જ ક્યાંથી કરે? અને આવા વિદ્યાર્થીને શું યાદ રાખવા યોગ્ય ગણાય? ક્યાંક ઠેકડો મારે એ પડે પણ ખરો જે ઉભો થાય તે ચાલે અને પડે આખડે પણ ગોઠણભેર ચાલનારો ક્યારેય આગળ વધી શકતો નથી.
        આજના વિદ્યાર્થીને શાળામાં દાખલ થાય એટલે તરતજ ગોખાવી દેવામાં આવે છે કે આમ રહેવું. આમ ન કરવું,જો કે આજે શિક્ષક જ પોતાની લાઇફ એ રીતે જીવે છે કે એ યુવાન નહી વૃધ્ધ થઇ ગયો છે માસ્તરની છાપ રાખીને જીવે છે. ઢીલુ-ઢીલુ ધોતીયું અને વીલુ વીલુ મો. મુમકીનસે થોડા આગે જાના એજ યુવાની એજ સાચો શિક્ષક શિક્ષક હોય અને ફેસબુકનું એકાઉન્ટ હોય પણ આજે શિક્ષક દંભ રાખતો થઇ ગયો છે.અને પછી કહે કે સાલુ આ ફેસબુક પર જાજી લાઇક મળતી નથી? સીનીયોરીટી ઇઝ એબિલિટી, ક્વોલીટી ઇઝ નોટ એબીલીટી. એવી માનસીકતા માંથી બહાર આવવું પડશે.
        આજનો શિક્ષક વિદ્યાર્થી સુધી પહોચતો નથી એ કેમ નથી પહોચતો? તમારે જુની ઘરેડમાં જીવવું છે અને  નવુ કંઇ અપનાવવું નથી. Don’t થી શરૂ કરીને જ આગળ વધવું છે. Do’s  થી કંઇ વિચારવું જ નથી. તો તમે કઇ રીતે બધાને સાથે લઇને આગળ વધી શકો. આમ નહી કરવાનું, આમ નહી બેસવાનું એમજ કીધા કરીને વિદ્યાર્થીને આપણાથી દુર  કરી દીધા છે. બાળક ને નવુ વિચારવા દો એને આગળ વધવા દો આપણે ભુલી જઇએ છીએ કે કેટલી ઝડપથી આપણો વિદ્યાર્થી બદલાઇ રહ્યો છે. જો કે બદલાવ એ પ્રકૃતિનો નિયમ છે. આ કુદરત ને આ સર્જનહારને બહુ એલર્જી છે, ચીડ છે. એકવિધાતાની, સ્થિરતાની, કુદરત કશું જ સ્થિર રહેવા દેતી નથી. એ પાંદડા ખેરવી નાખે, ઋતુ બદલે રાખે એ વચમાં દુકાળ લઇ આવે તો પાણીના પૂર પણ લઇ આવે છે. પરિવર્તન એ કુદરતને પણ ગમે છે. અને નથી ગમતુ એકનુ એક રહેવું. એને બદલ્યે રાખવું છે.
        માર્ક ઝુકરબર્ગે ફેસબુકની શરૂઆત કરી એમાં તેણે એકજ લીટીમાં કીધું કે ઈટસ એ કેમ્પસ વિધાઉટ કલાસરૂમ આજનો વિધાર્થી ફેસબુક, ગુગલ, વીકીપીડીયા, વોટસએપ અને ટીવી બધેથી જ્ઞાન મેળવે  છે. ત્યારે આજે શિક્ષક એ ઝડપે પરિવર્તન લાવે છે ખરો ? અને જો શિક્ષક પરિવર્તન નહી લાવે નવુ નહી સ્વીકારે તો આજનો વિધાર્થી તેને પણ અવગણતો થઈ જશે. શિક્ષકો જ્યારે વિધાર્થી માટે બળાપા કાઢે છે નવા-નવા સ્પીડ બ્રેકરો ઉભા કરે છે ત્યારે વિધાર્થી કયારેક આછકલાઈ કરી બેસે, મોજમાં આવી જાય અને ગેરવર્તન કરી બેસે તો એનો પ્રોબલેમ એટલા માટે નથી કે તેમને ખબર નથી કે શિક્ષક શું કરે છે શું વિચારે છે. પરંતુ  શિક્ષક જયારે નવા-નવા સ્પીડ બ્રેકર ચણી નાખે છે, આડે આવે છે ત્યારે એ શિક્ષક ને તો ખબર જ છે કે વિધાર્થીકાળ શું છે. કેમ કે અગાઉ એ વિધાર્થી તરીકે એનો અનુભવ કરી ચુકેલ છે.
       આજનો વિધાર્થી સ્માર્ટ થઈ ગયો છે. વિધાર્થી હોશીયાર થઈ ગયા છે. વીન્ડોઝ-8 ની જનરેશન સાથે કામ લેવુ હોય ને એને મુરખ બનાવવાની વાત કરીએ એ કયાંથી મેળ પડશે? કેમ કે ઉપરવાળો તેને અપગ્રેડ કરી કરીને જ મોકલે છે. આજના બાળકોને નવા-નવા સોફ્ટવેર ઈંસ્ટૉલ કરીને મોકલે છે. તમે જોજો તમારા ઘરમાં નવુ નકકોર ટીવી લઈ આવો અને તેને ઘરનો નાનામાં નાનો મેમ્બર હશે ઈ પહેલા રીમોટ વાપરતો થઈ જશે. કેમકે એ અપગ્રેડેડ સોફટવેર છે. આજનો બાળક વગર અંગ્રેજી જાણે એનો ઉપયોગ કરતો થઈ જશે. આજે શિક્ષકે પણ અપગ્રેડ થવુ જ પડશે અને એ નહી કરે તો એ જુનવાણી ગણાય જશે.
      આજની પેઢીને આજના વિધાર્થીને ગમે છે. એવી વાત ક્યારે કરીશુ ?આજની પેઢીને નવું જોઇએ છે. હવે માત્ર કથન કરવાથી બાળક આપણી સામે બેઠો નહી રહે, એને નવુ આપવુંજ પડશે. તમે શાળામાં નવી ટેકનોલોજી-કમ્પ્યુટર, ઇન્ટરનેટ અને નવી અધ્યતન સામગ્રી વાપરશો તોજ વિદ્યાર્થીમાં લોકપ્રિય થઇ શકશો. વિદ્યાર્થી પ્રોજેક્ટરૂમ કે કોમ્પ્યુટર લેબમાં જવા માટે તમારી રાહ જોઇને બેઠો હશે. એની ઇચ્છાઓ પુરી કરશો તો જ તે તમને ચાહશે. પછી  ફરીયાદ ક્રર્યા કરવી કે આજના વિદ્યાર્થીને ભણવુ નથી એ વાત તમારી કોઇ સ્વીકારશે નહી.
        આજના સમયમાં સાચો શિક્ષક એ જ ગણાશે કે જેને કોમ્પ્યુટર-ઇન્ટરનેટ, ગુગલ, ફેસબુક, યુ-ટ્યુબ, વીકીપીડીયા, બ્લોગ વિગેરેનો ઉપયોગ કરતા આવડતો હોય. મિત્રો, નવુ સ્વીકારો જુનવાણી માનસ છોડો આપણે શિક્ષક તરીકે ૫૮ વર્ષ પછી પણ આ બધી ટેકનોલોજીની એટલી જ જરૂર છે. જેટલી આજના યુવાનને. આપણે બી.એડ્.માં હતા જે તરવરાટથી અધ્યયન ટેકનોલોજી અને પાઠ આયોજન કરતા હતા. અને જેટલો સમય આપતા હતા એજ રીતે શિક્ષકની નોકરી મળી ગયા પછી પણ એટલો જ સમય અને એટલું મહત્વ નહી આપીએ તો આપણે હતા એજ જગ્યાએ સ્થિર થઇ જઇશું. જ્યાં આપણે પાંચ-દસ કે વીસ વર્ષ પહેલા હતા. માટે નવું જાણો, નવું અપનાવો અને નવુ જ્ઞાન વિદ્યાર્થીઓને વ્હેચો. ભણેલુ ભૂલાય જાય, શીખેલુ નહી ભૂલાય. નવું નોલેજ નહી હોય તો આપણે  ફેકાઇ જઇશું
તેરૈયા વસંતરાય એમ. Mo. 96871 50200
શ્રી કે.કે.હાઇસ્કૂલ, સાવરકુંડલા
સંદર્ભ : http;//www.youtube.com/watch?v=q6IEdEaV6I

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો